SPIPAથી માનસી સર્કલ તરફનો 400 મીટરનો રોડ પહોળો કરાયો:84 જેટલા રહેણાંક સહિત 96 બાંધકામો દૂર, ટ્રાફિકની સમસ્યા દૂર થશે
શહેરના સેટેલાઈટ વિસ્તારમાં સ્પીપા ઇન્સ્ટિટયૂટથી માનસી સર્કલ તરફ જવાના 18 મીટર રોડને દક્ષિણ પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા ખોલવામાં આવ્યો છે. આ રોડ પર રણુજાનગર તરીકે ઓળખાતી વસાહત આવેલી હતી. જે વસાહત ના રહીશોને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નોટિસ આપી અને વૈકલ્પિક વ્યવસ્થા તરીકે સરખેજ કૃષ્ણધામ આવાસ યોજના ખાતે મકાનો ફાળવવામાં આવ્યા છે. રહેણાંક અને કોમર્શિયલ સહિતના 96 જેટલા બાંધકામો દૂર કરાયા
આજે 7 નવેમ્બરના રોજ દક્ષિણ પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા સેટેલાઈટ પોલીસના બંદોબસ્ત સાથે રહેણાંક અને કોમર્શિયલ સહિતના 96 જેટલા બાંધકામો દૂર કરીને રોડ પહોળો કરવામાં આવ્યો છે જેના કારણે થઈને હવે સ્પીપા ઇન્સ્ટિટ્યૂટ પાસેથી સીધા માનસી સર્કલ તરફ જઈ શકાશે. 72 અસરગ્રસ્તોને આવાસ યોજનાથી વૈકલ્પિક મકાનો ફાળવાયા
શહેરના સેટેલાઈટ વિસ્તારમાં બી.આર.ટી.એસ. રોડ સુંદરવન સામેથી સ્પીપાને સમાંતર માનસી સર્કલ તરફ જતા ટી.પી.સ્કીમ નં. 6(વેજલપુર)માં સમાવિષ્ટ 18 મીટર તથા 9 મીટર પહોળાઇના ટી.પી. રસ્તો આવેલો છે. આ રસ્તો સીધો સ્પીપાથી માનસી સર્કલ તરફ જાય છે. આ રોડ પર રણુજાનગર તરીકે ઓળખાતી વસાહત આવેલી છે. ટી.પી. રસ્તા પરના અસરગ્રસ્ત કબ્જેદારોને રસ્તો ખુલ્લો કરવા માટે નોટીસો આપી અસરગ્રસ્ત કબ્જેદારો પૈકી વૈકલ્પિક વ્યવસ્થાને પાત્ર થતા 72 અસરગ્રસ્તોને સરખેજ કૃષ્ણધામ આવાસ યોજના ખાતે ડ્રો-પધ્ધતિથી વૈકલ્પિક મકાનો ફાળવવામાં આવ્યા હતા. દક્ષિણ પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા કાર્યવાહી
ત્યારબાદ અસરગ્રસ્ત કબ્જેદારો દ્વારા અન્ય જગ્યાએ વૈકલ્પિક વ્યવસ્થા ફાળવવા બાબતે ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવેલી હતી જોકે હાઇકોર્ટ દ્વારા સ્ટેટ્સ ક્વો આપવામાં આવેલો હતો. 25 સપ્ટેમ્બર 2025ના રોજ સ્ટેટ્સ ક્વો દૂર થતા દક્ષિણ પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરી અન્ય 6 કબ્જેદારોને સરખેજ કૃષ્ણધામ આવાસ યોજનામાં ડ્રો-પધ્ધતિથી વૈકલ્પિક વ્યવસ્થા ફાળવી હતી. 400 મીટર જેટલો આ રસ્તો 18 મીટરનો ટી.પી. રસ્તો ખુલ્લો કરવાની કામગીરી
આજે 7 નવેમ્બરના રોજ રોડ પહોળો કરવાની કામગીરી સ્ટેટ વિભાગની ટીમ દ્વારા કરવામાં આવી હતી. સેટેલાઇટ પોલીસ સ્ટેશનના પોલીસ બંદોબસ્ત સાથે તથા 2 દબાણ ગાડી, 1 હીટાચી મશીન, 4 જે.સી.બી મશીન તથા 32 ખાનગી કોન્ટ્રાક્ટરના મજુરોની મદદથી 84 રહેણાંક, 06 કોમર્શિયલ અને 06 સોસાયટી કંપાઉન્ડ વોલ મળી કુલ- 96 બાંધકામના દબાણો દુર કરવામાં આવ્યા છે. અંદાજે 400 મીટર જેટલો આ રસ્તો 18 મીટરનો ટી.પી. રસ્તો ખુલ્લો કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
