Gujarati News

Ahmedabad: સિવિલ હોસ્પિટલનો માઇલસ્ટોન, 11 મહિનામાં 700 દર્દીઓની કિડનીની પથરી ‘ઝીરો સ્કાર’ લીથોટ્રિપ્સીથી દૂર

Published: October 31, 2025 • Language: English

અમદાવાદની સિવિલ હોસ્પિટલના યુરોલોજી વિભાગે 11 મહિનામાં 700 દર્દીઓની કિડનીની પથરી લીથોટ્રીપ્સીથી દૂર કરવાનો માઇલસ્ટોન હાંસલ કર્યો છે.  આધુનિક ટેકનોલોજી અને સિવિલના યુરોલોજી વિભાગના ડોક્ટરોની અનુભવી ટીમના સંયુક્ત પ્રયત્નોથી માત્ર 11 મહિનામાં 700થી વધુ દર્દીઓની કિડની પથરી ની તકલીફ સફળતાપૂર્વક દૂર કરવામાં આવી છે  તે પણ શસ્ત્રક્રિયા વગર, દુખાવા વગર અને ઝીરો સ્કાર સાથે!

 પથરી લીથોટ્રીપ્સીથી દૂર કરવાનો માઇલસ્ટોન હાંસલ

સિવિલ હોસ્પિટલ ના યુરોલોજી વિભાગ ના વડા ડો. શ્રેણિક શાહે વધુ વિગતો આપતા જણાવ્યુ હતુ કે લિથોટ્રિપ્સી એ એક અદ્યતન શરીર ઉપર વાઢકાપ કર્યા સિવાયની સારવાર પદ્ધતિ છે, જેમાં કિડની કે મૂત્રમાર્ગની પથરીઓને હાઈ એનર્જી સાઉન્ડ વેવ્સ દ્વારા તોડી દેવામાં આવે છે. આ પ્રક્રિયા દરમિયાન કોઈ ચીરો પડતો નથી, તેથી દર્દીઓને હોસ્પિટલમાં લાંબો સમય રોકાવું પડતું નથી અને તેઓ ઝડપી સ્વસ્થતા અનુભવે છે..સિવિલ હોસ્પિટલના યુરોલોજી વિભાગ દ્વારા છેલ્લા 11 મહીના માં લિથોટ્રિપ્સીથી ઓપરેશન વગર 700 દર્દીઓની કિડની તેમજ પેશાબની નળીમાં રહેલી પથરી દૂર કરવામાં આવી છે. તમામ દર્દીઓ પીડારહિત સામાન્ય જીવનશૈલીમાં પાછા ફર્યા છે.

દર્દીઓની પથરીની તકલીફ દૂર કરાઇ

ડૉક્ટર શ્રેણિક શાહે વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે આ 700 દર્દીઓમાંથી 82 % દર્દીઓમાં પ્રથમ પ્રયાસે જ સંપૂર્ણપણે પથરી દૂર થઇ હતી જ્યારે 15.25 % કિસ્સામાં બે વાર લીથોટ્રીપ્સી કરી પથરી દૂર કરવામાં આવી હતી. જેમાં 3 વર્ષથી લઇ 81 વર્ષ સુધીના દર્દીઓની પથરીની તકલીફ દૂર કરાઇ. આ 700 દર્દીઓમાં 497 પુરુષ દર્દી તેમજ 203 સ્ત્રી દર્દીનો સમાવેશ થાય છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, 185 દર્દીઓમાં 10 mm (મિલીમીટર) સાઇઝની, 323 દર્દીઓમાં પથરીની સાઇઝ ૧૦થી ૧૫ mm તેમજ 192 દર્દીઓ એવા હતા જેમની પથરીની સાઇઝ 15 mm કરતાં પણ વધારે હતી. કુલ 700 દર્દીઓમાંથી 522 દર્દીઓમાં પથરી કીડનીમાં હતી, જ્યારે 178 દર્દીમાં પથરી મૂત્રવાહિનીના ઉપરના ભાગમાં હતી.

 પેશાબની નળીમાં રહેલી પથરી દૂર કરવામાં આવી

સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષીએ વધુમાં વધુ પથરીના દર્દીઓને સિવિલ હોસ્પિટલમાં ઉપલબ્ધ્ધ આ સેવાનો લાભ લેવા જણાવ્યુ હતુ. કિડનીની પથરીની સારવારમાં સિવિલ હોસ્પિટલ દ્વારા અપનાવવામાં આવેલો ઝીરો સ્કાર અભિગમ એ માત્ર ટેકનોલોજી નહીં પરંતુ કિડનીની પથરીની તકલીફ ધરાવતા દર્દીઓને ઓપરેશન, સ્કાર તેમજ દુખાવા રહિતની સારવાર આપવાનો એક માનવીય અભિગમ છે તેમ ડૉ. જોષીએ ઉમેર્યું હતું.

← Back to Home