પાયલોટ પ્રોજેક્ટ ધરાશે:અમદાવાદમાં મજબૂત ડામરના રોડ કરવા પહાડી વિસ્તારોમાં રોડ બનાવવાની ટેકનોલોજી ઉપયોગમાં લેવાશે
અમદાવાદ શહેરમાં રોડ તૂટવાની સમસ્યા દૂર કરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પહાડી વિસ્તારમાં જે ટેકનોલોજીનો ઉપયોગ કરીને રસ્તો બનાવવામાં આવે એવા ટેકનોલોજી મુજબનો રોડ બનાવવા પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે. પ્રાયોગિક ધોરણે પીરાણા પાસે આ રોડ તૈયાર કરવામાં આવશે. ડામરના રોડ બનાવતી વખતે ત્રણ લેયરમાં બનાવવામાં આવે છે, એની જગ્યાએ બેઝમાં પોલિ ઇથિલિનમાંથી બનેલી શીટ મૂકવામાં આવશે. જેનાથી રોડ મજબૂત અને ટકાઉ બને છે અને રોડ ધસી પડવાની કે તૂટી જવાની ઘટના બનતી નથી. ટેક્નોલોજીથી રોડનો ખર્ચ પણ 30 ટકા ઓછો થશે
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, શહેરમાં ડામરનો રોડ બનાવવા લેયર કરવામાં આવે છે અને બેઝ બનાવવામાં આવે ત્યારે તેમાં 4 mmની પોલિ ઇથિલિનની સીટનો ઉપયોગ કરવામાં આવે, જેનાથી રોડ મજબૂત બને છે. આ સીટનો ઉપયોગ કરવાથી રોડ બનાવતી વખતે જે ત્રણ વાર લેયર કરવું પડે છે તેમાં એક લેયરમાં ઘટાડો થશે એટલે કે બે લેયર કરવાના રહેશે. ખાસ કરીને આ ટેકનોલોજીનો ઉપયોગ ઉત્તર-પૂર્વ રાજ્યોમાં રોડ બનાવવામાં આવે છે. આ ટેક્નોલોજીનો ઉપયોગ કરવાથી રોડનો ખર્ચ પણ 30 ટકા ઓછો થશે. શીટ મૂકીને રોડ બનાવવાનો પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે
શહેરમાં દર ચોમાસા અને કેટલાક મહિનાઓ બાદ રોડ તૂટી જવાની ઘટનાઓ બનતી હોય છે ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રોડને મજબૂત અને ટકાઉ કરવા માટે ઉત્તર પૂર્વી રાજ્યોમાં જે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં પોલિ ઇથિલિન કેમિકલના ઉપયોગથી શીટ બનાવવામાં આવે છે, તે શીટ મૂકીને રોડ બનાવવાનો પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે. આ રોડ હાલ બનાવવામાં આવશે. જો આ ટેકનોલોજી ઉપયોગી નીવડશે તો આગામી દિવસોમાં શહેરમાં રોડ બનાવવા માટે આ ટેકનોલોજી વપરાશે.
