મની લોન્ડરિંગ કેસમાં અનિલ અંબાણીની મુશ્કેલીઓ વધી, ઈડીએ કરી ત્રીજી ધરપકડ

Anil Ambani: શુક્રવારે સત્તાવાર સૂત્રોએ માહિતી આપી કે ₹68 કરોડની કથિત નકલી બૅન્ક ગેરંટીના કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED)એ અનિલ અંબાણી ગ્રૂપની કંપની રિલાયન્સ પાવર વિરુદ્ધ મની લોન્ડરિંગ તપાસ હેઠળ ત્રીજી ધરપકડ કરી છે. જેના કારણે, શુક્રવારે અનિલ અંબાણી ગ્રૂપની કંપનીઓના શેર્સમાં ભારે ઘટાડો નોંધાયો હતો, જેમાં શેર 5 ટકા સુધી તૂટી ગયા હતા.
નકલી બૅન્ક ગેરંટી કેસમાં થઈ છે ધરપકડ
સત્તાવાર સૂત્રો અનુસાર, પ્રિવેન્શન ઑફ મની લોન્ડરિંગ ઍક્ટ(PMLA) હેઠળ ગુરુવારે અમરનાથ દત્તા નામના વ્યક્તિની અટકાયત કરવામાં આવી હતી, જેને સ્પેશિયલ કોર્ટે ચાર દિવસ માટે EDની કસ્ટડીમાં મોકલ્યા છે. આ ધરપકડ પહેલાં, તપાસ એજન્સીએ રિલાયન્સ પાવરના પૂર્વ CFO અશોકકુમાર પાલ અને ઓડિશા સ્થિત બિસ્વાલ ટ્રેડલિન્ક કંપનીના MD પાર્થ સારથી બિસ્વાલની પણ આ તપાસના ભાગરૂપે ધરપકડ કરી છે.
