આણંદની ગણેશ સાઉથ કોર્નર સીલ:સ્વચ્છતાના અભાવ અને ગંદકીને કારણે કાર્યવાહી
કરમસદ-આણંદ મહાનગરપાલિકાની ટીમે આણંદ શહેરના ગણેશ ચોકડી પાસે આવેલી ગણેશ સાઉથ કોર્નરને સીલ કરી છે. જાહેર આરોગ્યને નુકસાન કરતી ગંભીર ક્ષતિઓ અને સ્વચ્છતાના અભાવને કારણે આ કાર્યવાહી કરવામાં આવી છે. મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા કરાયેલી આકસ્મિક તપાસણી દરમિયાન, ગણેશ સાઉથ કોર્નરમાં સદંતર ગંદકી જોવા મળી હતી. ઉપરાંત, ખરાબ હાલતમાં બટાટા અને ગંદા વાતાવરણમાં રાખવામાં આવેલી ખાવાની ચીજો પણ મળી આવી હતી. ટીમને હાઈજીનનો સંપૂર્ણ અભાવ જણાતા, લોકોના આરોગ્ય માટે જોખમી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા. ફૂડ કાયદાની જોગવાઈઓ અને જીપીએમસીની કલમ 376A હેઠળ આ એકમને સીલ કરવામાં આવ્યું છે. કરમસદ-આણંદ મહાનગરપાલિકાએ તમામ હોટલ, રેસ્ટોરન્ટ અને ખાણીપીણીના એકમોને સ્વચ્છતા અને હાઈજીન જાળવવા અપીલ કરી છે. આરોગ્ય વિભાગ દ્વારા સ્વચ્છતા ચકાસણીની ઝુંબેશ ચાલુ રહેશે અને ખોરાકમાં ભેળસેળ કે સ્વચ્છતાના માપદંડોનું ઉલ્લંઘન કરનારા સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ મહાનગરપાલિકાએ જણાવ્યું છે.
