હળવદના માથક ગામે પરણિતાના આપઘાતનો કેસ:સાસરિયાં સામે મરવા મજબૂર કરવા બદલ ગુનો નોંધાયો
હળવદના માથક ગામે એક પરિણીતાએ થોડા દિવસો પહેલા આપઘાત કરી લીધો હતો. આ બનાવમાં મૃતક મહિલાના ભાઈએ તેના બનેવી (પતિ) સહિત ચાર સાસરિયાં વિરુદ્ધ હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી ઈન્દ્રજીતભાઈ ખેર (ઉંમર 41, રહે. મેરૂપર, હળવદ)એ આ ફરિયાદ દાખલ કરી છે. તેમણે પોતાના બનેવી અરજણભાઈ દેવુભા ચાવડા, ઉપેન્દ્રભાઈ અરજણભાઈ ચાવડા, ધનુબેન દેવુભા ચાવડા (ત્રણેય રહે. માથક) અને વસંતબેન ઝાલાભાઈ ચાવડા (હાલ રહે. હળવદ, મૂળ રહે. માથક) સામે આરોપ લગાવ્યા છે. ફરિયાદ મુજબ, ઈન્દ્રજીતભાઈની બહેન નીતાબેન અરજણભાઈ ચાવડાને પતિ સહિતના સાસરિયાં દ્વારા શારીરિક અને માનસિક ત્રાસ આપી મરવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા. આથી નીતાબેને થોડા સમય પહેલા આપઘાત કર્યો હતો. આ બનાવ અંગે અગાઉ અરજી પણ કરવામાં આવી હતી. પોલીસે હવે મૃતક મહિલાના ભાઈની ફરિયાદના આધારે પતિ સહિત કુલ ચાર આરોપીઓ સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
