રાજ્યમાં 14 શહેરોના 48 કેન્દ્રો પર CMATની પરીક્ષાનું આયોજન
સમગ્ર દેશની પ્રતિષ્ઠિત મેનેજમેન્ટ સંસ્થાઓમાં MBA અને PGDM કોર્સમાં પ્રવેશ મેળવવા માટે આજે CMAT (Common Management Admission Test) પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય સ્તરે યોજાનારી આ પરીક્ષામાં આ વર્ષે વિદ્યાર્થીઓની સંખ્યામાં મોટો ઘટાડો જોવા મળ્યો છે.
આંકડાકીય વિગત અને પરીક્ષાનું માળખું
આજે સવારે 9 થી 12 વાગ્યાના સત્રમાં યોજાયેલી આ પરીક્ષામાં સમગ્ર દેશમાંથી કુલ 53,000 વિદ્યાર્થીઓ નોંધાયા છે, જેમાં 27 હજારથી વધુ વિદ્યાર્થીઓ અને 25 હજારથી વધુ વિદ્યાર્થીનીઓનો સમાવેશ થાય છે. નોંધનીય છે કે, ગત વર્ષની સરખામણીએ આ વર્ષે નોંધણીમાં 20,000 જેટલો મોટો ઘટાડો નોંધાયો છે. ગુજરાતની વાત કરીએ તો, રાજ્યના મુખ્ય 14 શહેરોના 48 કેન્દ્રો પરથી 15,000થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે.
પરીક્ષા કેન્દ્ર પર ઘર્ષણની ઘટના
અમદાવાદ સહિતના કેટલાક કેન્દ્રો પર સવારે પરીક્ષા શરૂ થતા પહેલા થોડી અફરાતફરી જોવા મળી હતી. એક પરીક્ષા કેન્દ્ર પર નિર્ધારિત સમય કરતાં મોડા પહોંચેલા અથવા ટેકનિકલ કારણોસર પરીક્ષાર્થીઓને એન્ટ્રી ન અપાતા ભારે માથાકૂટ થઈ હતી. જોકે, વિદ્યાર્થીઓના ભાવિને ધ્યાને રાખી અને સમજાવટ બાદ આખરે તેઓને પરીક્ષા ખંડમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.
શા માટે મહત્વની છે આ પરીક્ષા?
AICTE દ્વારા માન્યતા પ્રાપ્ત તમામ સંસ્થાઓમાં મેનેજમેન્ટ કોર્સમાં પ્રવેશ માટે CMAT સ્કોર અનિવાર્ય છે. અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ જેવા મહાનગરોમાં ઓનલાઇન માધ્યમથી આ પરીક્ષા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે ચુસ્ત આયોજન કરવામાં આવ્યું છે.
