વાપીની હિરંબા ઈન્ડસ્ટ્રીઝમાં કામદારનું મોત:દોઢ ટનની ટાંકી પલટી, કંપનીમાં કામદારોને જરૂરી સેફટી સાધનો ન મળતા દુર્ઘટનામાં મોત
વલસાડ જિલ્લાના વાપી જી.આઇ.ડી.સી. વિસ્તારમાં આવેલી હિરંબા ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડની યુનિટ નં. 2માં ગુરુવારે સવારે એક દુર્ઘટનામાં એક કામદારનું મોત થયું હતું. પ્રાથમિક માહિતી મુજબ, કામદારોને સેફટીના સાધનો આપવામાં આવ્યા ન હોવાથી આ ઘટના બની હતી. ઘરના બનતા બેભાન બનેલા કંદરને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. વાપીની હરિયા હોસ્પિટલમાં કામદારનું સારવાર દરમ્યાન મોત થયું હતું. મૃતક કામદારની ઓળખ જીતેન્દ્રકુમાર ધનશ્યામસિંહ યાદવ (ઉંમર 45, રહેવાસી કોચરવા રાતા, મુળ વતન ભોજપુર, બિહાર) તરીકે થઈ છે. તેઓ તેમના સાથી કર્મચારીઓ શશીકુમાર અને રામપ્રકાશ ગુપ્તા સાથે મળીને આશરે દોઢ ટન વજનની લોખંડની ટાંકી ક્રેનની મદદથી એક સ્થળેથી બીજા સ્થળે ખસેડી રહ્યા હતા. ટાંકી જમીન પર મૂકતી વખતે અચાનક પલટી મારતા જીતેન્દ્રકુમાર તેની નીચે દબાઈ ગયા હતા. આ દુર્ઘટનામાં જીતેન્દ્રકુમારને છાતી પર ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેઓ બેભાન થઈ ગયા હતા. ઘટનાસ્થળે હાજર સાથીઓએ તાત્કાલિક કંપનીની એમ્બ્યુલન્સ બોલાવી તેમને વાપીની હરીયા હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડ્યા હતા. તબીબોએ તેમને આઇ.સી.યુ. વિભાગમાં દાખલ કર્યા હતા, પરંતુ સારવાર દરમિયાન સવારે ૧૧:૪૬ વાગ્યે તેમનું અવસાન થયું હોવાનું જાહેર કર્યું હતું. ઘટનાની જાણ થતાં જ વાપી જી.આઇ.ડી.સી. પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહનો કબજો મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ દ્વારા કંપનીમાં લાગેલા CCTV ફૂટેજ અને સાથે કામ કરતા અન્ય કામદારોના નિવેદનોના આધારે આ અકસ્માત અંગે વધુ તપાસ ચાલી રહી છે.
Read more
