પ્રભારી મંત્રી મનીષાબેન વકીલે લાભાર્થીના ઘરે ભોજન લીધું:છોટા ઉદેપુરના ધંધોડામાં સરકારી યોજનાઓની માહિતી મેળવી
છોટા ઉદેપુર જિલ્લાના પ્રભારી મંત્રી મનીષાબેન વકીલે આજે ધંધોડા ગામની મુલાકાત લીધી હતી. તેમણે અનુસૂચિત જાતિના એક લાભાર્થીના ઘરે ભોજન લીધું અને પરિવાર દ્વારા સરકારની વિવિધ યોજનાઓ હેઠળ મેળવેલા લાભો વિશે માહિતી મેળવી.દરમિયાન ત્યાં પ્રભારી મંત્રીએ જાતે રોટલા ઘડીને મહેમાનગતિ માણી હતી. પ્રભારી મંત્રી મનીષાબેન વકીલ ગઈકાલથી જિલ્લાની મુલાકાતે છે. આજે તેમણે સેવા સદન ખાતે રાષ્ટ્રગીતના 150 વર્ષની ઉજવણી પૂર્ણ કર્યા બાદ ધંધોડા જવા રવાના થયા હતા. ધંધોડા પહોંચીને, તેઓ ડૉ. આંબેડકર આવાસ યોજનાના એક લાભાર્થીના ઘરે ગયા. ત્યાં તેમણે લાભાર્થીઓ સાથે સરકારી યોજનાઓથી મળેલા ફાયદાઓ અંગે વિગતવાર ચર્ચા કરી અને તેમના ઘરે પોતે રોટલા બનાવ્યા હતા અને ભોજન ગ્રહણ કર્યું. આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલ અને જિલ્લા ભાજપના પ્રમુખ ઉમેશ રાઠવા પણ પ્રભારી મંત્રી સાથે ભોજનમાં જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે પ્રભારી મંત્રી બન્યા બાદ મનીષાબેન વકીલની જિલ્લામાં આ પ્રથમ મુલાકાત હતી. તેમણે સીધા લાભાર્થીના ઘરે જઈને તેમની સાથે ચર્ચા કરતા સ્થાનિક લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.
