Gujarati News

પોરબંદરમાં કમોસમી વરસાદથી પાક નુકસાન સર્વે પૂર્ણ:84,194 હેક્ટર વિસ્તારનો રિપોર્ટ રાજ્ય સરકારને સુપ્રત કરાયો

Published: November 4, 2025 • Language: English

પોરબંદર જિલ્લામાં કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાનનો સર્વે પૂર્ણ થઈ ગયો છે. કુલ 84,194 હેક્ટર વિસ્તારમાં થયેલા નુકસાનનો અહેવાલ રાજ્ય સરકારને સુપ્રત કરવામાં આવ્યો છે. તાજેતરમાં થયેલા વરસાદને કારણે ખેડૂતોના ઊભા પાકને વ્યાપક નુકસાન થયું હતું. આ સર્વે જિલ્લા ખેતીવાડી અધિકારી અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યો હતો. તેનો મુખ્ય ઉદ્દેશ્ય કમોસમી વરસાદથી પ્રભાવિત પાક અને તેનાથી થયેલા નુકસાનનું ચોક્કસ આંકલન કરવાનો હતો. જિલ્લા ખેતીવાડી અધિકારી એચ.એ. ત્રિવેદીએ માહિતી આપતા જણાવ્યું કે, પોરબંદર જિલ્લાના ત્રણેય તાલુકાના કુલ 154 ગામોમાં 44 ટીમો દ્વારા સર્વે કામગીરી કરાઈ હતી. સરકારી નિયમો અનુસાર, જિલ્લાના તમામ અસરગ્રસ્ત ખેડૂતોને આ સર્વેમાં આવરી લેવામાં આવ્યા હતા. સર્વેમાં કુલ વાવેતર વિસ્તાર પૈકી 84,194 હેક્ટર વિસ્તારમાં થયેલા નુકસાનનો અહેવાલ તૈયાર કરાયો છે. આ અહેવાલ સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ (SDRF) ના ધારાધોરણો અનુસાર બનાવવામાં આવ્યો છે. કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીના પરામર્શ બાદ આ સંપૂર્ણ અહેવાલ રાજ્ય સરકારને સુપ્રત કરવામાં આવ્યો છે. આ કામગીરીમાં સહયોગ આપનાર સર્વે ટીમના સભ્યો, સરપંચો, તલાટીઓ અને ગ્રામસેવકોનો આભાર વ્યક્ત કરાયો હતો.

Read more

← Back to Home