Gujarati News

પંચમહાલમાં સરદાર પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે પદયાત્રા:જિલ્લા સ્તરીય પદયાત્રાના આયોજન અંગે ગોધરામાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ

Published: November 4, 2025 • Language: English

સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે પંચમહાલ જિલ્લામાં યોજાનારી જિલ્લા સ્તરીય પદયાત્રાના આયોજન અંગે ગોધરાના જિલ્લા સેવાસદન ખાતે ૩ નવેમ્બરના રોજ એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય એકતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિના અવસરે ‘એક ભારત – આત્મનિર્ભર ભારત’ ના સૂત્ર સાથે પંચમહાલ જિલ્લામાં ભવ્ય પદયાત્રાનું આયોજન થઈ રહ્યું છે. આ પ્રેસ કોન્ફરન્સમાં લોકસભા સાંસદ રાજપાલસિંહ જાદવ, રાજ્યસભાના સાંસદ ડો. જશવંતસિંહ પરમાર, હાલોલ ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર તથા કાલોલ ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, જિલ્લા પ્રશાસનના વિવિધ વિભાગોના અધિકારીઓ અને મીડિયા પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા. જિલ્લા કલેક્ટર અજય દહિયાએ આત્મનિર્ભર ભારત અને એકતા સંદેશના વ્યાપક પ્રસારને ધ્યાનમાં રાખીને આયોજિત આ યાત્રા અંગે વિગતવાર માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે યાત્રા માટે વિશેષ રૂટ નક્કી કરવામાં આવ્યો છે. માર્ગ દરમિયાન મહત્વપૂર્ણ સ્થળોએ થીમ આધારિત કાર્યક્રમો, સ્વચ્છતા અને જનજાગૃતિના સંદેશાઓ, સરકારી યોજનાઓનો પરિચય, સાંસ્કૃતિક કાર્યક્રમો અને યુવા શક્તિને પ્રોત્સાહન મળે તેવા કાર્યક્રમો યોજવામાં આવશે.

Read more

← Back to Home