સિદ્ધપુર સિંધી સમાજે અમિત બગેલ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યું:મામલતદાર અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી સખત કાર્યવાહીની માંગ
સિદ્ધપુર સિંધી સમાજે છત્તીસગઢના જેસીબી પ્રેસિડેન્ટ અમિત બગેલ વિરુદ્ધ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું છે. સમાજના લોકોએ મામલતદાર કચેરી ખાતે એકઠા થઈ અમિત બગેલના નિવેદનોને વખોડી કાઢ્યા હતા અને મામલતદાર તેમજ પ્રાંત અધિકારીને આવેદનપત્ર સુપરત કર્યું હતું. આ વિરોધ પ્રદર્શન ગત 26 ઓક્ટોબર, 2025ના રોજ અમિત બગેલ દ્વારા સિંધી સમાજ અને તેમના ઈષ્ટદેવ ભગવાન ઝુલેલાલ વિરુદ્ધ કરાયેલા આપત્તિજનક અને અશોભનીય નિવેદનોના કારણે કરવામાં આવ્યું હતું. આ નિવેદનો છત્તીસગઢ ખાતે આપવામાં આવ્યા હતા. વિરોધ દરમિયાન, સિંધી સમાજના સભ્યોએ ‘અમિત બગેલ મુર્દાબાદ’ના નારા લગાવ્યા હતા. તેમણે અમિત બગેલના ફોટોવાળા બેનર પર ચપ્પલ વડે માર મારીને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. આવેદનપત્રમાં જણાવાયું હતું કે બગેલના નિવેદનો ભારતની એકતા અને અખંડિતતાને તોડવાનું કાર્ય કરે છે. સમાજે સરકાર દ્વારા તેમની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરીને સખતમાં સખત સજા થાય તેવી માંગ કરી હતી. આ મામલે પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે.
