સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ:પુરવઠા મંત્રી અને એસો.ના પ્રતિનિધિઓ વચ્ચે મળેલી બેઠક સફળ, 15 દિવસમાં કમિશન વધારાનો પ્રસ્તાવ કરાશે
ગુજરાત રાજ્યના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં ગુજરાત રાજ્યના પુરવઠા કેબિનેટ મંત્રી અને રાજ્યકક્ષાના મંત્રી બંનેએ એસોસિએશનના પ્રતિનિધિઓ સાથે સકારાત્મક વાતચીત કરી હતી. સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ આખરે સમેટાઈ ગઈ છે. પુરવઠા મંત્રી અને એસોસિયેશનના પ્રતિનિધિઓ વચ્ચે મળેલી બેઠક સફળ રહી છે, જેમાં દુકાનદારોની મુખ્ય માંગણીઓ પર હકારાત્મક નિર્ણય લેવામાં આવ્યો છે. બેઠક દરમિયાન, સસ્તા અનાજના દુકાનદારોના કમિશનમાં વધારો કરવા અંગેનો પ્રસ્તાવ આગામી 15 દિવસમાં રજૂ કરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવતાં એસોસિયેશને પોતાની હડતાળ પાછી ખેંચી લીધી છે. અલગ-અલગ 20 માગણીઓને લઈને 17 હજાર જેટલા સંચાલકોએ હડતાળ કરી હતી.
ગુજરાતની સસ્તા અનાજની દુકાનના સંચાલકોને મળતા કમિશનમાં વધારા સહિતની અલગ-અલગ 20 માગણીઓને લઈને 17 હજાર જેટલા સંચાલકોએ આજ(2 નવેમ્બરથી)થી અચોક્કસ મુદતની હડતાળ શરૂ કરી હતી. હડતાળના પગલે અનાજ વિતરણની કામગીરી ઠપ્પ થઈ છે. હડતાળના પગલે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના અગ્રસચિવ સાથે સસ્તા અનાજની દુકાન સાથે સંકળાયેલા બંને એસોસિએશનના હોદેદારોની બેઠક યોજાઈ હતી. પરંતુ, બેઠકમાં મંત્રણા પડી ભાંગી હોવાનું જાણવા મળ્યું હતું. જથ્થા ઉતારવાના નિયમમાં પણ આંશિક ફેરફાર થશે
બેઠક બાદ પ્રહલાદ મોદીએ જણાવ્યું હતું કે, 97 ટકાના વિતરણમાં 94 ટકાની શરત અંગે પણ સરકાર દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવશે. તકેદારી સમિતિના સભ્યોના 80 ટકા બાયોમેટ્રિક આધારિત જથ્થા ઉતારવાના નિયમમાં પણ આંશિક ફેરફાર કરી જુની પદ્ધતિ મુજબ ઓફલાઈન બે સભ્યોની સહી સાથે ડિજિટલ પ્રક્રિયા ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ‘આગામી સમયમાં દુકાનદારો નિયમિત વિતરણ વ્યવસ્થા શરૂ કરશે’
પ્રહલાદ મોદીએ જણાવ્યું વધુમાં જણાવ્યું હતું કે, સહાયક માટેની અમારી માગણીને પણ સરકાર દ્વારા સ્વીકાર મળી છે અને સક્ષમ અધિકારી દ્વારા તે બાબત માન્ય કરવામાં આવશે. આગામી સમયમાં વ્યાજબી ભાવના દુકાનદારો નિયમિત વિતરણ વ્યવસ્થા શરૂ કરશે. આ બેઠક બાદ વ્યાજબી ભાવના દુકાનદારોમાં સંતોષનો માહોલ જોવા મળ્યો છે.
