સર્વે કરાયો:હિંમતનગરના બ્રહ્માણી નગરમાં વરસાદી પાણીના કાયમી નિકાલ માટે ડીપીઆર બનાવવા સર્વે કરાયો
હિંમતનગર શહેરના બ્રહ્માણી નગરમાં પાણી ભરાઇ રહેવાની કાયમી સમસ્યાનો મુદ્દો સામાન્ય સભામાં ઉછળ્યા બાદ થયે ઠરાવ અનુસંધાને મંગળવારે ચીફ ઓફિસરે સંલગ્ન તમામ વિભાગના વડા અને એજન્સી તથા પાલિકા વિરોધ પક્ષના નેતાને સાથે રાખી નીચાણવાળા વિસ્તારોમાં ભરાઇ રહેલ પાણીનો નિકાલ કરવા સૂચના આપી વરસાદી પાણીના નિકાલ માટેની વ્યવસ્થા કરાવવા ડીપીઆર બનાવવા સર્વે હાથ ધરાતાં સ્થાનિક રહીશોમાં આનંદની લાગણી પ્રસરી ગઇ હતી. શહેરના બ્રહ્માણીનગર વિસ્તારમાં થોડા વરસાદમાં પણ ઢીચણસમા પાણી ભરાઇ જાય છે અને મહિનાઓ સુધી આ પાણી જમીનમાં ઉતરે નહીં ત્યાં સુધી નિકાલ થતો નથી. ગંદકી અન મચ્છરોના ઉપદ્રવની કાયમી સમસ્યાથી રહીશો ત્રાહિમામ પોકારી ગયા છે. તાજેતરમાં કોંગ્રેસ દ્વારા પાલિકાથી બેદરકારી મામલે વિરોધ પ્રદર્શન પણ કરાયું હતું અને 30 ઓક્ટોબરે યોજાયેલ સામાન્ય સભામાં પણ પાલિકા દ્વારા બ્રહ્માણીનગરમાં ભરાતાં વરસાદી પાણીની સમસ્યાનો નિકાલ લાવવા ચર્ચા કરી સ્ટોર્મ વોટર લાઇન સહિતની સુવિધા ઉપલબ્ધ કરાવવા સર્વે કરવા નિર્ણય લેવાયો હતો. ચીફ ઓફિસર ઉપેન્દ્ર ગઢવીએ જણાવ્યું કે, બ્રહ્માણીનગરની સમસ્યાનો કાયમી નિકાલ લાવવા બાંધકામ ખાતાના વડા, આરોગ્ય વિભાગના વડા, વિરોધપક્ષના ઇમરાનભાઇ અલજીવાલા, સ્થાનિક રહીશો, ડીપીઆર બનાવવા પીએસપી ઇન્ડિયા કન્સલ્ટન્સી એજન્સીની ટીમ સાથે મંગળવારે બપોર બાદ બ્રહ્માણી નગરના નીચાણવાળા તમામ વિસ્તારોનો સર્વે કરી વિસ્તૃત ચર્ચા કરાઇ હતી અને આગામી ચોમાસા પહેલા રહીશોની સમસ્યાનું નિરાકરણ આવી જાય તેવું ઝડપથી કામ કરવા આયોજન કરાયું છે. હાલમાં પાણી નીચાણવાળા પ્લોટોમાં ભરાઇ રહેલ છે. તેના નિકાલ માટે મશીનરી લગાડી સત્વર કામગીરી હાથ ધરાશે.
