શહેરમાં શ્વસન સિન્સિટીયલ વાયરસના કેસોમાં વધારો નોંધાયો:12 નવેમ્બર વિશ્વ ન્યુમોનિયા ડે નિમિત્તે નિષ્ણાતોની ચેતવણી, 2 વર્ષથી નાના બાળકોમાં ન્યૂમોનિયા જીવલેણ
શહેરમાં શ્વસન સિન્સિટીયલ વાયરસ એટલે કે RSVના કેસોમાં વધારો નોંધાઈ રહ્યો છે. આ વાયરસ બાળકોમાં વાયરલ ન્યુમોનિયાનું મુખ્ય કારણ બની રહ્યો છે. ખાસ કરીને બે વર્ષથી નાના બાળકોમાં આ ચેપના કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. 12 નવેમ્બરના વિશ્વ ન્યુમોનિયા દિવસના અવસરે તબીબી નિષ્ણાતો ન્યુમોનિયા અને RSV વિશે વધુ જાગૃતિ લાવવાની જરૂરિયાત પર ભાર મૂકી રહ્યા છે. RSV વાયરસ અને માયકોપ્લાઝમાના કેસોમાં 5થી 10 ટકા જેટલો વધારો
ડિવાઇન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાઇલ્ડ હોસ્પિટલના ડૉ. હાર્દિક પટેલે જણાવ્યું કે, છેલ્લા કેટલાક મહિનાઓમાં ખાસ કરીને નાના બાળકોમાં ન્યુમોનિયાના કેસોમાં વધારો થયો છે. તેમણે જણાવ્યું કે, 10 વર્ષથી નાના બાળકોમાં ન્યુમોનિયા સામાન્ય રીતે જોવા મળે છે, પરંતુ ખાસ કરીને પાંચ વર્ષથી નાના બાળકોમાં એ વધુ જોવા મળે છે. જ્યારે બે વર્ષથી નાના બાળકોમાં તો તેનો ખતરો વધુ ગંભીર હોય છે. આ વર્ષે એકથી બે વર્ષના બાળકોમાં RSV વાયરસ અને માયકોપ્લાઝમાના કેસોમાં સામાન્ય કરતા 5થી 10 ટકા જેટલો વધારો નોંધાયો છે. આ પરિબળો જવાબદાર
ડૉ. પટેલના જણાવ્યા મુજબ તહેવારોના સમયમાં ઓવરક્રાઉડિંગ, ફરવાનો ટ્રેન્ડ, અને સ્કૂલોમાં ક્રોસ ઇન્ફેક્શન જેવા પરિબળો પણ આ વધારો માટે જવાબદાર છે. આપણે ત્યાં બાળકોમાં ઈમ્યુનિટી ઓછી હોય છે, ઉપરાંત જંક ફૂડ ખાવાની ટેવ અને વેક્સિનેશન પ્રત્યેની ગેરજવાબદારીને કારણે પણ ન્યુમોનિયાના કેસો વધી રહ્યા છે. ચોમાસાના ભેજયુક્ત વાતાવરણમાં ન્યુમોનિયાની અસર વધુ જોવા મળે છે. શરદી, ખાંસી અને તાવ જેવા લક્ષણો
તેને વધુમાં કહ્યું કે, શરૂઆતમાં શરદી, ખાંસી અને તાવ જેવા લક્ષણો દેખાય છે, પરંતુ જો યોગ્ય સારવાર ન લેવાય તો શ્વાસ લેવામાં તકલીફ, હાંફ ચઢવી અને ભાન ઓછું પડવું જેવા ગંભીર લક્ષણો વિકસે છે. બાળકમાં ન્યુમોનિયાના લક્ષણો દેખાય તો ડૉક્ટરનો સંપર્ક કરો
આવી સ્થિતિમાં બાળકોને ઓક્સિજન કે વેન્ટિલેટર સપોર્ટની જરૂર પડે છે. ડૉ. હાર્દિક પટેલે પેરેન્ટ્સને અપીલ કરી છે કે જાતે દવા ન આપવી, ફાર્મસીમાંથી બિનજરૂરી દવાઓ ન ખરીદવી, અને બાળકમાં ન્યુમોનિયાના લક્ષણો દેખાય તો તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ.
