ભાજપના 200 કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા:વલસાડના નાનાપોંઢામાં સ્નેહમિલન કાર્યક્રમમાં કાર્યકરોએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો
વલસાડ જિલ્લાના નવરચિત નાનાપોંઢા તાલુકામાં કોંગ્રેસ દ્વારા આયોજિત સ્નેહમિલન કાર્યક્રમમાં ભાજપના 200થી વધુ કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા હતા. આ કાર્યકરો વાપી અને કપરાડા તાલુકાના હતા. નાનાપોંઢા તાલુકાનું નિર્માણ વલસાડ જિલ્લામાં વાપીને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ થયું છે. વાપીની બાકી રહેલી 13 ગ્રામ પંચાયતો તેમજ કપરાડા અને પારડી તાલુકાના વિભાજન દ્વારા આ નવો તાલુકો અસ્તિત્વમાં આવ્યો છે. આ સ્નેહમિલન કાર્યક્રમ વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત કરાયો હતો. AICCના સભ્ય ગૌરવ પંડિયા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશન પટેલ અને વાંસદાના ધારાસભ્ય અનંત પટેલની અધ્યક્ષતામાં આ કાર્યક્રમ યોજાયો હતો. ભાજપના 200થી વધુ કાર્યકરોએ ભાજપની વિચારધારા છોડી કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો. આ કાર્યકરો વાપી અને કપરાડા તાલુકામાંથી આવ્યા હતા. ભાજપના કાર્યકરો કોંગ્રેસમાં જોડાતા કોંગ્રેસના કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. કોંગ્રેસના નેતાઓએ આગામી દિવસોમાં નાનાપોંઢા અને કપરાડા તાલુકા પંચાયત જીતવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો.
