પોરબંદરમાં મતદાર યાદી સુધારણા અભિયાન પર બેઠક:કેબિનેટ મંત્રીની અધ્યક્ષતામાં વિગતવાર ચર્ચા, કાર્યકરોને ઘરેઘરે જઈ માહિતી પહોંચાડવા અપીલ
પોરબંદરમાં મતદાર યાદી વિશેષ સુધારણા અભિયાન (S.I.R) અંતર્ગત એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. રાજ્યના કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાની અધ્યક્ષતામાં આ બેઠકમાં અભિયાનને વધુ સફળ બનાવવા માટે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલા મતદાર યાદી સુધારણા કાર્યમાં નાગરિકોનો સહભાગ વધારવા માટે નેતાઓએ કવાયત તેજ કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય મતદાર યાદીને સુધારવાનો અને નવા મતદારોને નોંધણી કરવાનો છે. આ બેઠકમાં જિલ્લા પ્રમુખ ડૉ. ચેતનાબેન તિવારી, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુ બોખીરીયા, જિલ્લા મહામંત્રીઓ અશોક મોઢા અને ખીમજી મોતીવારસ, તેમજ SIR અભિયાનના ઈન્ચાર્જ કેતન દાણી અને સૂર્યકાંત સિકોત્રા ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, શહેર ભાજપ પ્રમુખ સાગર મોદી, મહામંત્રીઓ નિલેશ (નિતેશ) બાપોદરા અને નરેન્દ્ર કાણકિયા સહિત શહેરના તમામ વોર્ડના કાઉન્સિલરો, શક્તિ કેન્દ્ર સંયોજકો તેમજ પાર્ટીના સક્રિય કાર્યકરો પણ હાજર રહ્યા હતા. બેઠકમાં નવા મતદારોની નોંધણી, સ્થળાંતરિત મતદારોના નામમાં સુધારણા સહિતના મુદ્દાઓ પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મંત્રીએ તમામ કાર્યકરોને ઘર-ઘરે જઈને વધુમાં વધુ લોકો સુધી આ માહિતી પહોંચાડવા અને અભિયાનમાં જોડાવા અપીલ કરી હતી.
