દિલ્હી બોમ્બ વિસ્ફોટ બાદ દેશભરમાં એલર્ટ:ગોધરામાં સાબરમતી S/6 ડબ્બા સહિત રેલવે સ્ટેશનનું ચેકિંગ, પશ્ચિમ રેલવેની બોમ્બ ડિસ્પોઝલ એન્ડ ડિટેક્શન સ્ક્વોડ ખડેપગે
દિલ્હીમાં લાલ કિલ્લા નજીક મેટ્રો સ્ટેશન પાસે કારમાં થયેલા બોમ્બ વિસ્ફોટ બાદ સમગ્ર દેશમાં ચકચાર મચી છે. કોઈ આતંકવાદી ઘટના ન બને તે માટે દેશભર સહિત ગુજરાતમાં પણ મહત્વના સ્થળોએ પોલીસ તંત્ર દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત, ગોધરામાં 2002ના ટ્રેન હત્યાકાંડમાં 59 કાર સેવકોના મોત થયા હતા તે સાબરમતી એસ/6 ડબ્બાનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. વડોદરા પશ્ચિમ રેલવેની બીડીડીએસ (બોમ્બ ડિસ્પોઝલ એન્ડ ડિટેક્શન સ્ક્વોડ) અને સ્થાનિક પોલીસની મદદથી આ ચેકિંગ હાથ ધરાયું હતું. બીડીડીએસ ટીમના પોલીસકર્મીઓએ એન્ટી-સબોટેજ પદ્ધતિ દ્વારા ડબ્બાની ઝીણવટભરી તપાસ કરી હતી. ત્યારબાદ, ગોધરા રેલવે સ્ટેશન પર પણ વ્યાપક ચેકિંગ અભિયાન ચલાવવામાં આવ્યું. જીઆરપી (સરકારી રેલવે પોલીસ) અને આરપીએફ (રેલવે પ્રોટેક્શન ફોર્સ)ની મદદથી બીડીડીએસ ટીમે મુસાફરખાના, પાર્કિંગ, રેલવે પ્લેટફોર્મ, ટ્રાફિક વિસ્તાર, ઓટો રિક્ષા, વેઇટિંગ રૂમ અને પાર્સલ ઓફિસની તપાસ કરી હતી. આ ઉપરાંત, આવતી-જતી ટ્રેનો અને શંકાસ્પદ મુસાફરોના સામાનનું પણ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
