ટાંકીઓ તાકીદે કાર્યરત કરવાની માંગ:મોટી ઢોલડુંગરીમાં પાણીની ટાંકીઓ તો બનાવી પણ અંદર પાણીનું ટીપુંય નથી
ધરમપુરના મોટી ઢોલડુંગરીમાં બનેલી પાણીની ટાંકીઓ કોઈ કારણસર કાર્યરત ન થતા સ્થાનિકોને રાહ જોવાનો વારો આવી રહ્યો હોવાની માહિતી તા.પં. અપક્ષ સભ્યએ આપી હતી. ગ્રામજનોને પાણીની સુવિધા ઉભી કરવા આ ટાંકીઓ તાકીદે કાર્યરત કરવાની લાગણી વ્યક્ત કરી હતી. નાની ઢોલડુંગરી તા.પં.બેઠકના અપક્ષ સભ્ય કલ્પેશ પટેલ જણાવ્યું હતું કે, મોટી ઢોલડુંગરીના ગ્રામજનો માટે પાણીની સુવિધા ઉભી કરવા ગામના વિવિધ ફળીયામાં ટાંકીઓ બનાવવામાં આવી છે. જોકે હજુ સુધી આ ટાંકીઓ કાર્યરત કરવામાં આવી નથી. જેથી ગ્રામજનો માટે પાણી માટે ઉભી કરવામાં આવેલી આ ટાંકીની સુવિધાનો લાભ મળી રહ્યો નથી. જ્યાં ઓછું અથવા પાણી નથી ત્યાં પાણી પહોંચાડવા પાઇપલાઇન સાથે આ આયોજન તંત્રએ કરી ટાંકી બનાવી કામગીરી તો કરી છે પરંતુ એમાં હજુ પાણી આવ્યું નથી એમ કહી આ ટાંકીઓ કાર્યરત થતા ગામમાં 90 ટકા પાણીની સમસ્યાનું નિરાકરણ આવી શકે એવી વાત કરી હતી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, હાલે કુવા,બોરમાંથી પાણી લોકો મેળવી રહ્યા છે. આદિમજૂથ વિસ્તારમાં વાસમો મારફતે પાણી મળે છે.જ્યારે ગામના બાકીના 8 ફળીયામાં આ ટાંકીઓ કાર્યરત થાય તો પૂરતા પાણીની સુવિધા મળી શકે એમ છે. જેથી તાત્કાલિક જરૂરી કામગીરી પૂર્ણ કરી ટાંકીઓ કાર્યરત કરવામાં આવે એ જરૂરી છે એવી લાગણી અપક્ષ સભ્યએ વ્યકત કરી હતી.
