છતીસગઢમાં ઝૂલેલાલ વિરૂધ્ધની ટિપ્પણીનો રાજકોટમાં વિરોધ:સિંધી સમાજના ભાઈઓ – બહેનોની બાઈક રેલીમાં અમિત બઘેલ મુર્દાબાદના નારા લાગ્યા
રાજકોટમાં સિંધી સમાજ દ્વારા આજે બાઈક રેલી કાઢી કલેક્ટરને આવેદન પાઠવ્યું હતુ. સિંધી કોલોનીમાં આવેલા ઝૂલેલાલ મંદિરથી કલેક્ટર કચેરી સુધી બાઈક રેલી નિકળી હતી. છત્તીસગઢના અમિત બઘેલ દ્વારા સિંધિ સમાજના ઈષ્ટદેવ ઝૂલેલાલ વિશે કરેલ વિવાદાસ્પદ ટિપ્પણી બાદ સિંધી સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે તેવામાં સિંધી સમાજના ભાઈઓ અને બહેનોએ મોટી સંખ્યામાં એકત્ર થયા હતા અને ધાર્મિક લાગણી દુભાતી ટિપ્પણી કરનાર વિરુધ્ધ કડક કાર્યવાહી કરવા માંગ કરી હતી. બાઈક રેલીમાં અમિત બઘેલ મુર્દાબાદ અને સિંધી સમાજ સે જો ટકરાયેગા મિટ્ટી મેં મિલ જાયેગા જેવા નારા લાગ્યા હતા. સિંધી સમાજના દીપા પ્રતિમાણીએ જણાવ્યું હતું કે, સિંધી સમાજના આગેવાનો અમે આજે કલેકટર કચેરી ખાતે એકત્ર થયા છીએ. અમારા ઇષ્ટદેવ ભગવાન ઝુલેલાલની ટીકા અને અપમાન કરવામાં આવેલું છે. આ સાથે જ અપ શબ્દો બોલવામાં આવ્યા છે તેને લઈને સમગ્ર સમાજમાં રોષ છે. જેથી અમારી જે લાગણી દુભાણી છે તેના માટે ન્યાય આપવામાં આવે તેવી અમારી માગણી છે. જેથી બીજી વખત કોઈપણ વ્યક્તિ આ પ્રકારની ટિપ્પણી કરવાની હિંમત ન કરે. જ્યારે અન્ય આગેવાન કુમાર વાસદેવાણીએ જણાવ્યું હતું કે, છત્તીસગઢમાં બઘેલભાઈએ ભગવાન ઝુલેલાલ વિશે ખૂબ જ ખરાબ ટિપ્પણી કરી છે અને અપશબ્દો પણ કહેવામાં આવ્યા છે. જેનો અમે સખત શબ્દોમાં વખોડી કાઢી વિરોધ કરીએ છીએ. જેથી અમે કલેકટરને આવેદન આપી અમારો વિરોધ નોંધાવ્યો છે અને આ બાબતે સરકાર દ્વારા કડકમાં કડક પગલાં ભરવામાં આવે તેવી અમારી માંગણી છે.
