Divya Bhaskar Gujarat

કાવ્યા જૈન અને હીરવા ગોસ્વામીનું અરંગેત્ત્રમ ભક્તિ-સૌંદર્યનો ઉત્સવ:ગાંધીનગરમાં ઝંકાર સ્કૂલ ઑફ ક્લાસિકલ ડાન્સેસમાં બે યુવા શિષ્યાનું ભવ્ય અરંગેત્ત્રમનું આયોજન

Published: November 4, 2025 • Language: English

ગાંધીનગર ઝંકાર સ્કૂલ ઑફ ક્લાસિકલ ડાન્સેસ દ્વારા ગુરુ રતિભા વર્મા (સ્થાપક અને કલાત્મક નિદેશક)ના માર્ગદર્શન હેઠળ બે યુવા શિષ્યા કુમારી કાવ્યા જૈન અને કુમારી હીરવા ગોસ્વામીનું ભવ્ય અરંગેત્ત્રમ આયોજિત કરવામાં આવ્યું હતું. સાંજના મુખ્ય અતિથિ તરીકે ગાંધીનગર મહાનગરપાલિકાની મહાપૌર મીરાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતાં. જ્યારે વિશિષ્ટ અતિથિ તરીકે આશિષ દવે (પ્રમુખ, ભાજપ ગાંધીનગર શહેર) અને રિતાબેન પટેલ (વિધાનસભ્ય, ગાંધીનગર ઉત્તર) ઉપસ્થિત રહ્યાં હતાં. તેમની ઉપસ્થિતિએ ભારતની શાશ્વત શાસ્ત્રીય વારસાનો ઉત્સવ મનાવતા આ ઐતિહાસિક પ્રસંગને વિશેષ મહત્ત્વ આપ્યું. ગુરુ વિષે
ગુરુ પ્રતિભા વર્મા, સુમા મોહનની સમર્પિત શિષ્યા છે. તેમણે વર્ષ 2004માં ગાંધીનગરમાં ઝંકાર સ્કૂલ ઑફ ક્લાસિકલ ડાન્સેસની સ્થાપના કરી હતી. છેલ્લા બે દાયકામાં તેમણે ભરતનાટ્યમ, મોહિનીયાટ્ટમ, કથક, કેરળ નટનમ તેમજ લોક અને અર્ધ-શાસ્ત્રીય નૃત્ય શૈલીઓમાં અનેક વિદ્યાર્થીઓને તાલીમ આપી છે. ભારતીય શાસ્ત્રીય નૃત્ય પરંપરાના સંવર્ધન અને પ્રસાર માટેનો તેમનો અવિરત પ્રયાસ તેમને એક પ્રતિષ્ઠિત ન્યાયાધીશ, માર્ગદર્શક અને વિવિધ સાંસ્કૃતિક મંચો પર આદરણીય અતિથિ તરીકે સ્થાપિત કરે છે. તેમની ગુરુ સુમા મોહન નાટ્યાલય સ્કૂલ ઑફ ક્લાસિકલ ડાન્સેસ, ગાંધીધામ (સ્થાપના વર્ષ 1990)ની સ્થાપક અને નિદેશક તેમની અગ્રણી કલા-દ્રષ્ટિ અને શિક્ષણ દ્વારા નૃત્યજગતમાં પેઢીદર પેઢી પ્રેરણા આપતી રહી છે. યુવા નૃત્યાંગનાઓની ઓળખાણ
કાવ્યા જૈન અને હીરવા ગોસ્વામી બંને ગાંધીનગરની હિલવુડ્સ સ્કૂલની 14 વર્ષની વિદ્યાર્થીનીઓ છે, જે પોતાની સર્જનાત્મકતા, શિસ્ત અને આનંદમય વ્યક્તિત્વ માટે જાણીતી છે. કાવ્યાઃ રમતગમત (ખાસ કરીને બેડમિન્ટન) અને સંગીતમાં રસ ધરાવે છે, જે તેના ઉત્સાહી અને સંતુલિત સ્વભાવને દર્શાવે છે. તેનું પ્રેમાળ વર્તન અને વિનમ્રતા તેને શિક્ષકો અને મિત્રો વચ્ચે ખૂબ જ પ્રિય બનાવે છે. હીરવાઃ નૃત્ય સાથેસાથે ઇતિહાસમાં ખાસ રસ ધરાવે છે, જે તેના વિચારીશીલ અને જિજ્ઞાસુ સ્વભાવનું પ્રતિબિંબ છે. તેની શાંતિપૂર્ણ હાજરી અને સૌમ્યતા અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ છે. તેમના માતા-પિતા
નેહા અને સંજીવ જૈન તથા ડૉ. ધર્મિષ્ઠા અને ડૉ. કલ્પેશ ગોસ્વામીના સતત ઉત્સાહ અને પ્રોત્સાહનથી બંને નૃત્યાંગનાઓ આત્મવિશ્વાસી અને અભિવ્યક્તિશીલ કલાકાર તરીકે ખીલી ઉઠી છે. સમર્પણ અને શિસ્તની સફર
અરંગેત્ત્રમ, કાવ્યા અને હીરવા માટે એક ઔપચારિક ડેબ્યુ હતું, જે વર્ષો સુધીની મહેનત, સમર્પણ અને અભ્યાસનું પરિણામ હતું. તેમની નૃત્યયાત્રા આઠ વર્ષની નાની ઉંમરે શરૂ થઈ હતી અને ગુરુ પ્રતિભા વર્માના માર્ગદર્શન હેઠળ તેમની કળામાં કળાતમકતા અને શિસ્ત બંને વિકસ્યા હતા. કાર્યક્રમની શરૂઆત પુષ્પાંજલિ અને ગણેશ સ્તુતિથી થઈ હતી, ત્યારબાદ પરંપરાગત ભરતનાટ્યમ પ્રસ્તુતિઓ-અલારિપ્પુ, જાતિસ્વરમ, શબદમ, પડમ, વર્ણમ, કીર્તનમ, શ્લોકમ, તિલ્લાના અને મંગલમ રજૂ કરવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થીનીઓએ લય, અભિવ્યક્તિ અને ભાવના પર પોતાની કુશળતા દેખાડી. સંગીત મંડળીમાં સમાવિષ્ટ કલાકારો
* ગુરુ સુમા મોહન અને ગુરુ પ્રતિભા વર્મા-નટ્ટુવાંગમ
* વિદ્યાશ્રીનિવાસ- વોકલ
* એસ. કે. દિનેશકુમાર- મૃદંગમ
* ફેનિલકુમાર સોની- બાંસુરી
* પ્રાર્થના મહિસુરી- વાયોલિન
નૃત્યાંગનાઓ અને લાઇવ ઓર્કેસ્ટ્રા વચ્ચેની સુંદર સમન્વયતાએ સમગ્ર સાંજને ખરેખર જાદુઈ અને મનોહર બનાવી દીધી.

Read more

← Back to Home