કમકમાટીભર્યો બનાવ:વણસોલ પાસે વાહનની અડફેટે મરઘાકુઈના બાઇકચાલકનું મોત
ઉમરેઠના વણસોલ પાસે શનિવારે રાત્રિના સમયે અજાણ્યા વાહનની અડફેટે વાહનચાલક વૃદ્ધનું મોત નીપજ્યું હતું. આ અંગે પોલીસે અજાણ્યા વાહનના ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. ઠાસરાના નંદાપુરા સ્થિત મરઘાકુઈ ખાતે 34 વર્ષીય રાજેશભાઈ શનાભાઈ પરમાર રહે છે. તેમણે ભાલેજ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, શનિવારે સવારે તેમના પિતા તેમનું બાઈક લઈને બાવળા જવા નીકળ્યા હતા. દરમિયાન, રાત્રિના સમયે તેમને તેમના પિતરાઈ ભાઈ તરફથી જાણવા મળ્યું હતું કે, તેના પિતા શનાભાઈનો વણસોલથી પણસોરા જતા રોડ પર જય અંબે સ્ટીલ નજીક કોઈ અજાણ્યા વાહન સાથે અકસ્માત થયો છે. જેને પગલે તેઓ સ્થળ પર ગયા હતા. જ્યાં તેમના પિતાનું બાઈક અક્સમાતગ્રસ્ત હાલતમાં પડ્યું હતું. તપાસમાં તેમને નડિયાદ સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હોવાનું જાણવા મળતાં જ તેઓ તુરંત જ હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ અંગે મૃતકના પુત્ર રાજેશભાઈ પરમારની ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા વાહનના ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
