આતંકી હાફિઝ સઈદ બાંગ્લાદેશ પહોંચ્યો, ત્યાંથી ભારત પર હુમલો કરશે:લશ્કર કમાન્ડરે જણાવ્યું, યુવાઓને ટ્રેનિંગ અપાઈ રહી છે, 'ઓપરેશન સિંદૂર'નો બદલો લેવાની તૈયારી
આતંકવાદી હાફિઝ સઈદ ભારત પર હુમલા માટે નવાં ષડયંત્ર બનાવી રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, સઈદ આ હુમલા માટે બાંગ્લાદેશને લોન્ચપેડ તરીકે તૈયાર કરી રહ્યો છે. આ ખુલાસો પાકિસ્તાનના ખૈરપુર તામેવાલીમાં 30 ઓક્ટોબરના રોજ થયેલી એક રેલીના વીડિયોમાંથી થયો છે. લશ્કર-એ-તૈયબાના સિનિયર કમાન્ડર સૈફુલ્લાહ સૈફે કહ્યું- હાફિઝ સઈદ ખાલી બેઠા નથી, તેઓ બાંગ્લાદેશના રસ્તે ભારત પર હુમલો કરવાની કોશિશ કરી રહ્યા છે. સૈફે કહ્યું- ભારત આપણી ઉપર હુમલો કરી રહ્યું હતું, અમેરિકા તેમની સાથે હતું, પરંતુ આજે તેમનો સાથ કોઈ આપતું નથી. સૈફે દાવો કર્યો કે લશ્કરના આતંકી પહેલાંથી જ બાંગ્લાદેશમાં સક્રિય છે અને ‘ઓપરેશન સિંદૂર’નો બદલો લેવાની તૈયારીમાં છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, હાફિઝ સઈદે પોતાના નજીકના સાથીને બાંગ્લાદેશ મોકલ્યો છે, જે ત્યાંના યુવાઓને ટ્રેનિંગ આપી રહ્યો છે. આતંકવાદીઓ બાળકોને યુદ્ધ કરવા માટે ઉશ્કેરી રહ્યા છે રેલીમાં આતંકવાદી સૈફે લોકોને ભારત વિરુદ્ધ યુદ્ધ છેડવા માટે ઉશ્કેર્યા હતા. રેલીમાં બાળકો પણ હાજર હતા. આતંકવાદી સંગઠનો સગીરોને પણ ઉશ્કેરીને તેમનો ભારત વિરુદ્ધ ઉપયોગ કરવા માગે છે. સૈફે પાકિસ્તાની સેનાની પ્રશંસા કરતી વખતે ખોટો દાવો કર્યો હતો કે આ કાર્યવાહી 9-10 મેની રાત્રે થયેલા ‘ઓપરેશન સિંદૂર’ના જવાબમાં હતી. તેણે કહ્યું, હવે અમેરિકા આપણી સાથે છે. બાંગ્લાદેશ પણ ફરીથી પાકિસ્તાનની નજીક આવી રહ્યું છે. ડેપ્યુટી ચીફે હિન્દુઓનો નાશ કરવાની ધમકી આપી હતી તાજેતરમાં લશ્કર-એ-તૈયબા (LeT)ના ડેપ્યુટી ચીફ સૈફુલ્લાહ કસુરીનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે ભારતમાંથી હિન્દુઓનો નાશ કરવાની ધમકી આપી રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ વીડિયો 22 એપ્રિલના પહેલગામ આતંકવાદી હુમલા પહેલાં લેવામાં આવ્યો હતો. કસુરી આ હુમલાના માસ્ટરમાઇન્ડ્સમાંનો એક છે. વીડિયોમાં તે કહે છે, આપણો કાફલો ન તો રોકાશે કે ન તો થોભશે અને જ્યાં સુધી આપણે આખા ભારતમાં ‘લા ઇલાહા ઇલ્લાલ્લાહ’ (અલ્લાહ સિવાય કોઈ નથી)નો ધ્વજ લહેરાવીશું નહીં ત્યાં સુધી શાંતિથી બેઠીશું નહીં.’ કસુરીએ આગળ કહ્યું- સમય આવી જ રહ્યો છે, કોઈ નિરાશા નથી. આપણે જે મેદાન પર ઊભા છીએ ત્યાં આપણા દુશ્મનને હરાવી દીધા છે. આ હિન્દુઓ આપણી સામે શું છે? ભારતના હિન્દુઓનો નાશ થશે અને ઇસ્લામનું શાસન આવવાનું છે.” કસુરી વીડિયોમાં કહે છે કે તે મુરીદકે સ્થિત લશ્કર-એ-તૈયબાના મુખ્યાલયથી આ ભાષણ આપી રહ્યો છે. ભારતે ઓપરેશન સિંદૂર દરમિયાન લશ્કર-એ-તૈયબાના આ મુખ્યાલય પર હુમલો કર્યો હતો. પાકિસ્તાની સેનાએ પાછળથી ખોટો દાવો કર્યો હતો કે તે આતંકવાદી ઠેકાણું નથી, પણ એક મસ્જિદ છે. કસુરીએ કહ્યું – પાકિસ્તાન મુસ્લિમો પ્રત્યે સહાનુભૂતિ ધરાવે છે કસુરીએ પાકિસ્તાનને “અલ્લાહ તરફથી સલામત આશ્રયસ્થાન” તરીકે વર્ણવ્યું. તેણે કહ્યું, “પાકિસ્તાન સલામતી અને શાંતિની ભૂમિ છે, વિશ્વભરના મુસ્લિમોનો સહાનુભૂતિ ધરાવતો અને મદદગાર છે.” આ ઉપરાંત કસુરીએ વિશ્વને પાકિસ્તાનનો આદર કરવા અને તેની સાથે જોડાવા કહ્યું. આતંકવાદી કસુરીએ પીએમ મોદીને ગંભીર પરિણામોની ધમકી આપી આ પહેલાં 17 સપ્ટેમ્બરના રોજ કસુરીએ ટેલિગ્રામ પર એક વીડિયો જાહેર કર્યો હતો, જેમાં ભારત અને પીએમ મોદીને ગંભીર પરિણામોની ધમકી આપવામાં આવી હતી. વીડિયોમાં કસુરીએ ચેતવણી આપી હતી કે જમ્મુ અને કાશ્મીરમાં ભારતીય બંધ, નદીઓ અને વિસ્તારો પર કબજો કરવાનો પ્રયાસ કરવામાં આવશે. કસુરીએ ખુલાસો કર્યો કે પાકિસ્તાન સરકાર અને સેના આતંકવાદી સંગઠનને મુરીદકેમાં તેના મુખ્યાલયને ફરીથી બનાવવા માટે ભંડોળ પૂરું પાડી રહ્યા હતાં, જે ઓપરેશન સિંદૂર દરમિયાન નાશ પામ્યું હતું. કસુરી સઈદનો જમણો હાથ કસુરી જમ્મુ અને કાશ્મીરમાં લશ્કર-એ-તૈયબા (LeT) અને TRF આતંકવાદી પ્રવૃત્તિઓનો મુખ્ય સંચાલક છે. કસુરી સૈફુલ્લાહ ખાલિદના નામથી પણ ઓળખાય છે. તે આંતરરાષ્ટ્રીય આતંકવાદી હાફિઝ સઈદનો જમણો હાથ છે. સૈફુલ્લાહને લક્ઝરી કારનો શોખ હોવાનું માનવામાં આવે છે અને તે હંમેશાં આધુનિક શસ્ત્રોથી સજ્જ આતંકવાદીઓના અનેક સ્તરોથી ઘેરાયેલો રહે છે. કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કર્યા પછી ISIએ TRFની રચના કરી. TRF લશ્કર-એ-તૈયબાના ભંડોળ માધ્યમો દ્વારા કાર્ય કરે છે. પહેલગામ હુમલા પહેલાં પણ તે કાશ્મીર ખીણમાં અસંખ્ય આતંકવાદી પ્રવૃત્તિઓને અંજામ આપી રહ્યું હતું. આ સમાચાર પણ વાંચો… ગુજરાત બાદ ફરીદાબાદમાં આતંકીઓનું ‘ઝેરી’ ષડ્યંત્ર: ડોક્ટરના રૂમમાંથી 360Kg RDX, AK-47, દારૂગોળો, કેમિકલ જપ્ત; ગુજરાત સહિત 4 રાજ્યમાં તપાસ શરૂ ગઈકાલે ગાંધીનગરમાંથી ATSએ 3 આતંકી ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી 3 પિસ્તોલ, 30 કારતૂસ અને કેમિકલનો જથ્થો મળ્યો હતો, જ્યારે આજે જમ્મુ-કાશ્મીર પોલીસે હરિયાણાના ફરીદાબાદમાં એક ડોક્ટરના ઘરે દરોડા પાડ્યા. એ દરમિયાન આશરે 360 કિલો RDX, એક AK-47 અને દારૂગોળો અને કેમિકલનો જથ્થો જપ્ત કર્યો છે, જેથી શક્યતા છે કે આતંકીઓ કોઈ મોટા આતંકી હુમલાનું પ્લાનિંગ કરી રહ્યા હોય, જેથી ગુજરાત સહિત 4 રાજ્યમાં તપાસ શરૂ કરી દેવામાં આવી છે. આ સમાચાર આગળ વાંચવા માટે અહીં ક્લિક કરો…
