અરજી કોર્ટે ફગાવી:વિપુલ ચૌધરીએ દૂધસાગર ડેરીની ચૂંટણી લડવા સ્ટે માટે કરેલી અરજી કોર્ટે ફગાવી
દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીને સાગરદાણ કેસમાં કોર્ટ દ્વારા કરવામાં આવેલા 7 વર્ષની સજા સામે ડેરીના નિયામક મંડળની ચૂંટણી લડવા માટે મહેસાણા કોર્ટમાં કન્વિક્શન સ્ટે માગનાર વિપુલ ચૌધરીની અરજી શુક્રવારના રોજ કોર્ટે ફગાવી દીધી હતી. ઉલ્લેખનીય છે કે, બે વર્ષ કે તેથી વધુની સજા પામનાર કોઈપણ વ્યક્તિ કોઈ ચૂંટણી લડી શકતો નથી. સાત વર્ષની સજા બાદ મહેસાણા સેશન્સ કોર્ટે આપેલ જામીન ઉપર છૂટેલા ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીએ દૂધસાગર ડેરીના નિયામક મંડળની ચૂંટણી લડવા માટે કોર્ટમાં અરજી કરી, કન્વિક્શન સ્ટેની માગણી કરી હતી. જે અરજી શુક્રવારના રોજ સેશન્સ કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ વિજય બારોટની દલીલોને આધારે સેશન્સ જજ આર.બી. ઇટાલીયાએ તેમની અરજી ફગાવી દીધી હતી. હવે તેઓ હાઇકોર્ટમાં ચૂંટણી લડવા માટે કન્વિક્શન સ્ટે મેળવવા જવું પડશે. ઉલ્લેખનિય છે કે, હાલમાં સહકારી તંત્ર દ્વારા દૂધસાગર ડેરીની આગામી ટર્મમાં નિયામક મંડળ માટે ચૂંટણી યોજવા કામચલાઉ મતદારયાદીની પ્રક્રિયાઓ ચાલી રહી છે.
