અમરેલીમાં ખેડૂતો નારાજ, રાહત પેકેજ અપૂરતું:પ્રતિ હેક્ટર ₹22,000ની સહાય સામે 100% નુકસાનનો દાવો
રાજ્ય સરકારે કમોસમી વરસાદથી થયેલા નુકસાન બાદ ખેડૂતો માટે ₹10,000 કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું છે. આ પેકેજ હેઠળ પ્રતિ હેક્ટર ₹22,000ની સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે. જોકે, અમરેલી જિલ્લાના ખેડૂતોએ આ પેકેજ સામે ભારે અસંતોષ અને રોષ વ્યક્ત કર્યો છે, અને 100% ધિરાણ માફ કરવાની ઉગ્ર માંગ કરી છે. અમરેલી જિલ્લામાં ભારે વરસાદને કારણે વિવિધ પાકોને વ્યાપક નુકસાન થયું છે અને પાક નિષ્ફળ ગયા છે. ખેડૂતોને રાજ્ય સરકાર પાસેથી મોટી અપેક્ષા હતી, પરંતુ પેકેજની જાહેરાત બાદ તેઓમાં નિરાશા જોવા મળી છે. દિવ્યભાસ્કર ડિજિટલ ટીમે વિવિધ ગામડાના ખેડૂતો સાથે વાતચીત કરી હતી. ખેડૂત ગોલણભાઈ જાજડાએ જણાવ્યું કે, “આ ₹22,000ની રકમ અમારા માટે અપૂરતી છે. અમારા ખેતી ખર્ચાઓ ઘણા વધી ગયા છે. સરકારે ખેડૂતોના દેવા માફ કરવા જોઈએ.” અન્ય એક ખેડૂત રમેશભાઈએ કહ્યું કે, “અમને 100% નુકસાન થયું છે. પાક નુકસાન માટે નક્કી કરાયેલા ₹22,000 તો માત્ર ખેતરમાં સડી ગયેલા પાકને કાઢવાની મજૂરીમાં જ નીકળી જશે. હાલમાં મજૂરીનો દૈનિક દર ₹600 છે. આ રકમ દવા, બિયારણ અને અન્ય ખર્ચાઓને પહોંચી વળવા માટે પૂરતી નથી. અમારી એક જ માંગ છે કે 100% ધિરાણ માફ કરવામાં આવે.” ખેડૂત ચીથરભાઈએ પણ આ રકમને ખૂબ ઓછી ગણાવી હતી. તેમણે કહ્યું કે, “અમે દેશના ભંડાર ભરીએ છીએ, છતાં અમને થયેલા નુકસાન સામે પૂરતી સહાય મળતી નથી.”
